-
અંકલેશ્વરના અડોલ ગામે વિરોધ
-
એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમ્યાન વિરોધ
-
ખેડૂતે હાઈવેની કામગીરી અટકાવી
-
વળતર બાબતે વિરોધ નોંધાવાયો
-
મામલતદાર સહિતના અધિકારીઓએ રજુઆત સાંભળી
અંકલેશ્વર તાલુકાના અડોલગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોય અને પોતાને હજુ સુધી એવોર્ડ જાહેર ન કરાયો હોવા બાબતે આજે એક્સપ્રેસ વે માટે થતા માટીપુરાણ કામને અટકાવી દેવાયુ હતુ.
અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુય સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજરોજ અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને અટકાવી દીધુ હતુ.આ અંગેની જાણ થતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત ઘટના સ્થળે દોડી ગયા હતા.
તેમની સાથે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને માટી પુરાણ કામકાજ શરૂ કરાવવાના પ્રયત્નો આદર્યા હતા.ખેડૂત તરફે ઘટના સ્થળે આવેલ વકીલ જયરાજ પટેલ અને ખેડૂતના પરિવારજનોએ જ્યાં સુધી તેઓને તેમની જમીનનો પુરતો એવોર્ડ જાહેર ના થાય ત્યાં સુધી કામકાજ કરવા દઈશુ નહીં તેમ મક્કમતાથી જણાવ્યુ હતુ.
બીજીતરફ અંકલેશ્વર મામલતદારે પણ ખેડૂત પરિવારજનોને તેમની જમીનના દસ્તાવેજોમાં જરૂરી પુર્તતા કરવા આગ્રહ કર્યો હતો. મોડે સુધી આ અંગે માથામણો ચાલી હતી.
ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભુલ કરાયી છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેરથયો છે તે ક્ષત્તિ દુર કરી યોગ્ય નુકશાની વળતર ચૂકવાય.