-
લાછરસ ગામના યુવકની પશુપાલનમાં સિદ્ધિ
-
લંડનમાં યુવકે કર્યો છે MBAનો અભ્યાસ
-
વતનમાં પશુપાલન થકી મેળવી અનોખી સિદ્ધિ
-
ગાય આધારિત ખેતી કરીને બન્યા આર્થિક રીતે સશક્ત
-
દીપેન બન્યો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ
નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ગૌ-પાલક દિપેન કાંતિભાઈ દેસાઈ છેલ્લા 5 વર્ષથી ગૌશાળા બનાવી અલગ-અલગ નસલની ગીર ગાયો રાખે છે. જેના દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બનાવી ઘર-આંગણે જ વેચાણ કરીને આત્મનિર્ભરની સાથે આર્થિક રીતે સશક્ત બન્યા છે. તેઓએ લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો છે.
નર્મદા જિલ્લાના લાછરસ ગામના દીપેન દેસાઈએ લંડનમાં MBAનો અભ્યાસ કર્યો છે,જોકે વતનની માટીની સોડમ તેઓને પરત માદરે વતન ખેંચી લાવી હતી,અને તેઓએ પશુપાલનના વ્યવસાયમાં જોડાયને સફળતાનાં શિખરો સર કર્યા છે.દિપેન દેસાઇ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરતા જણાવ્યું કે, ગાય આધારિત ખેતીનું મહત્વ પરિવારને સમજાવ્યા બાદ અમે શરૂઆતમાં એક ગાય લાવી એનું પાલન-પોષણ કરી સ્થાનિક કક્ષાએ દૂધનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ગાયોમાં વધારો થતા ગૌશાળા બનાવી ગાયોની સાર-સંભાળ રાખે છે. ગૌ-પાલક દિપેન પાસે 9 મોટી ગીર ગાયો, 4 મધ્યમ કદની ગીર ગાયો, 8 વાછરડીઓ અને 1 નંદી છે. ગીર ગાયના દૂધમાંથી ઘર-આંગણે દહીં, છાશ, માખણ અને ઘી બનાવીને નર્મદા સહિત અન્ય જિલ્લામાં, રાજ્યમાં પણ વેચાણ કરી બમણી કમાણી કરતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
નવાઈની વાત એ છે કે,દિપેને ગૌશાળામાં રાખવામાં આવેલ ગાયો, વાછરડીઓ અને નંદીને ઓનલાઈન સિસ્ટમ થકી પાણી પીવડાવાની વ્યવસ્થા કરી છે, લીલો ઘાસચારો ખેતરમાં ઉગાડીને પશુપાલનને ખવડાવવામાં આવે છે. અને ગૌ-મુત્રનો સંગ્રહ કરીને એમાંથી બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. જેનો ખેતરમાં ઉપયોગ કરે છે. આ ખાતરનો ઉપયોગ 12 એકરની જમીનમાં હળદર, પપૈયા, શેરડી, કેળા, લીંબુ, જામફળ, જાંબુ સહિત વિવિધ પ્રકારની શાકભાજી અને ફળફળાદીઓની પ્રાકૃતિક ખેતી કરે છે.
દિપેન દેસાઈ ગાય આધારિત ખાતરનો મહત્વ સમજાવતા જણાવ્યું કે, ખેતરમાં જે પણ સારૂ ઉત્પાદન થાય છે. એમાં અમારી ઘણી જ મહેનત છે. જે અમને આજે પશુપાલન ખેતીથી ફળી રહી છે. આ ઉત્પાદનમાં નથી કોઈ ખાતરવાળાને કે કોઈ દવાવાળાને બિલ ચૂકવવાનું રહેતું. ખાતરની અંદરથી જે પણ નફો થાય છે. તે અમારો પોતાનો છે. આટલા વર્ષની મહેનત પછી ખબર પડે છે કે, જો ખેડૂત પોતાના ઘરે ગાય રાખે અને એના આધારે ખેતી કરશે તો એમાંથી સારી એવી કમાણી કરી શકે છે. વધુમાં દેસાઈએ જણાવ્યું કે, જે ખેડૂતોને ગાય રાખવી ન હોય તેઓ મારી ગૌશાળામાંથી ગૌમૂત્ર, છાસ અને છાણ લઈ જઈને ખેડૂતો પોતાના ઘરે જીવામૃત બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે છે.
ગૌ-પાલકો માત્ર દૂધની જ ગણતરી કરતા હોય છે. પણ દૂધની સાથે ગૌમૂત્ર અને છાણનો પણ હિસાબમાં ગણતરી કરે તો ગૌ-પાલકને કોઈ દિવસ નુકશાન ન જાય. દિપેને ગૌ-શાળામાંથી અંદાજીત 3 થી 4 લાખ આવક વર્ષે મળી રહે છે. ખેડૂતમિત્રોને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતા જણાવ્યું કે, પોતાના ખેતરને બચાવવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. માટે ખેતીની સાથે પશુપાલન એટલે કે બાપ-દાદા વડવાઓ જે ખેતી કરતા હતા એને ફરી પુન: અપનાવવી જોઈએ.