કલક ગામમાં બની ચોંકાવનારી ઘટના
બ્રિજ નીચેથી ગૌવંશના મૃતદેહ મળી આવ્યા
12થી વધુ ગાયના રહસ્યમય મોતથી ચકચાર
ઘટનાને પગલે ગૌરક્ષકોમાં પશુપાલકો સામે રોષ
ગૌવંશના મોત અંગેનું કારણ જાણવાના પ્રયાસો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે 12થી વધુ ગાય રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.ઘટનાને પગલે ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે 12થી વધુ ગાય રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવી હતી.જે અંગે સ્થાનિક લોકોએ ગૌરક્ષકોને જાણ કરી હતી.ગૌરક્ષકો દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરતા ગૌવંશના મૃતદેહો મળી આવ્યા હતા. તેમાં કેટલીક ગાયો એવી હતી,જે અઠવાડિયાથી સારવાર હેઠળ હતી, તો બીજી તરફ સૌથી વધુ વાછરડાના મૃતદેહો મળ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.
ગૌરક્ષકોએ રોષ પૂર્વક આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેટલાક પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે સારવાર કરવાની જરૂર પડે ત્યારે આ ગાયોને છોડી દેવામાં આવે છે. તેઓ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ ગાયોને ગૌરક્ષકો દ્વારા સારવાર તો આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ માલિકો તેમની કાળજી રાખતા નથી, જેને તેઓએ“એક પ્રકારની ગૌહત્યા"ગણાવી છે.હાલ ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળેલા તમામ મૃતદેહોનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.અને ગૌવંશના મોત પાછળનું કારણ જાણવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.