વાહનચાલકો આનંદો: એક્સપ્રેસ હાઇવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે,કનેક્ટ ગુજરાતની ટીમે કર્યું નિરીક્ષણ

દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

New Update
  • વાહનચાલકો માટે મહત્વના સમાચાર

  • એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ

  • ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે

  • તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો

  • ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.