New Update
વાહનચાલકો માટે મહત્વના સમાચાર
એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ
ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે
તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો
ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.
Latest Stories