ભાવનગર : નિકાસબંધી બાદ ડુંગળીના ભાવ નીચા જતાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ...
ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.
ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જેની સીધી અસર વિરોધના રૂપે જોવા મળી છે. ભાવનગર-સોમનાથ હાઇવે ઉપર મહુવા ખાતે ખેડૂતોએ ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરતાની સાથે ડુંગળીના ભાવ 700માંથી 200થી 300 રૂપિયા મણ પહોંચી ગયા હતા. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ ભાવનગર-સોમનાથ હાઇવે પર ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સાથે જ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ અગાઉ તંત્રને આવેદન પત્ર આપી આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જોકે, એક તરફ કુદરતનો માર અને બીજી તરફ સરકારનો ડામ ખેડૂતોને પાયમાલ કરી રહ્યો છે. જેને પગલે ખેડૂતોને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. ખેડૂતોએ રસ્તો બંધ કરી સરકારને સીધી ચેતવણી આપી હતી કે, નિકાસબંધી હટાવે અને ભાવ ઊંચા આવે તો ખેડૂતોને કરેલા ખર્ચની સામે વળતર મળી શકે તેમ છે. તો બીજી તરફ, રસ્તો બંધ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.