/connect-gujarat/media/post_banners/0a60d1378ab9b43964d96dfbc9a0dd314707ff6400a94f19da1c67401a6cb2dd.jpg)
ભાવનગર શહેરમાં ચોમાસાએ વિદાય લીધી છે, ત્યાજ પાણીનો પોકાર પણ જોવા મળી રહ્યો છે. વરતેજની અનેક સોસાયટીઓના રહીશો રોડ પર ઉતરી આવી ભાવનગર-રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો હતો.
પાણીએ જીવન છે અને પાણી વગર માનવીની હાલત કફોડી બની જાય છે. આવી સ્થિતિ ભાવનગર શહેરના વરતેજ વિસ્તારમાં જોવા મળી છે. વરતેજ વિસ્તારની ખોડિયારનગર, ગૌતમબુદ્ધ નગર અને સિદ્ધિવિનાયક સોસાયટીમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે. જેને લઇ આ વિસ્તારના રહીશો દ્વારા મહાનગરપાલિકા કમિશ્નર તેમજ ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાને પણ આ મામલે રજૂઆત કરી હતી. જેમાં રહીશોને પાણીની સમસ્યા હલ થઇ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ ન થતાં રહીશો દ્વારા તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ આપી પાણીની સમસ્યા દૂર કરવા તાકીદ કરી ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં આ વિસ્તારના 500 જેટલા મહિલા, પુરુષ અને બાળકો પાણીની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. ભાવનગર-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરી પોતાની પાણીની માંગને બુલંદ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત જાળવી હાઇવે ખુલ્લો કરવા પ્રયાસ કર્યો હતો.