![ભાવનગર: વૃદ્ધાના અંગદાનથી લીવરના દર્દીને મળશે નવજીવન, તંત્ર દ્વારા બનાવાયો ગ્રીન કોરીડોર](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/b98cb87f389d1027e36bdbe93ecec54ccacf1578ba3e997517454289a0c9396d.jpg)
સમાજમાં હવે અંગદાન જાગૃતિનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાંથી 76મું અંગદાન મળ્યુ છે. જેને ગ્રીન કોરીડોર રચીને લીવરને એરપોર્ટ પહોંચતુ કરાયું હતું. ભાવનગરના દેવબાગ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય લતાબેન અમૃતલાલ સોમાણીને ગત તા.9 માર્ચે પેરાલિસિસનો હુમલો બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા ત્યારબાદ તેઓને તા.10 માર્ચે ભાવનગર ખાતે આરોગ્યમ હોસ્પિટલમાં ડૉ. પ્રકાશ ભટ્ટ (ન્યુરોફીજીશીયન)ની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા
તેઓને ગંભીર પ્રકારનો બ્રેઈન સ્ટ્રોક હોવાથી ઘનિષ્ઠ સારવાર બાદ પણ તબીયતમાં સુધારો થયો ન હતો ત્યારબાદ ડૉ. રાજેન્દ્ર કાબરીયા તેમજ ડૉ. પ્રકાશ ભટ્ટ દ્વારા તા.12માર્ચને મંગળવારે તપાસીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ દર્દી નાં પુત્રો જયેશભાઇ તેમજ રાકેશભાઈને આરોગ્યમ હોસ્પિટલના ડૉ. ભરત દિહોરા દ્વારા અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ આવા સામાજિક ઉમદા કાર્ય માટે તુંરત જ સંમતિ આપી હતી.
ત્યારબાદ આજે ગુજરાત સરકાર દ્વારા ઝાઈડસ હોસ્પિટલ, અમદાવાદની ટીમ દ્વારા તેઓને આરોગ્યમ હોસ્પિટલમાંથી લીવરનું દાન લીધેલ હતું.દર્દીની ઉંમર વધારે હોવાથી કિડનીનું દાન શક્ય ન હતું . દર્દીનાં અંગોને સમયસર લઈ જવા માટે આરોગ્યમ હોસ્પિટલથી ભાવનગર એરપોર્ટ સુધી લઈ જવા માટે ભાવનગર જિલ્લા પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ગ્રીન કોરીડોરની સુવિધા આપવામાં આવી હતી. ભાવનગરનું આ 76મું અંગદાન છે