Connect Gujarat
ગુજરાત

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ કરી નગરચર્યા

રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.

X

ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે યોજાય છે, ત્યારે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભાવનગર શહેરના સુભાષનગર ખાતેથી કોરોના ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા કાઢવામાં આવયી હતી. આ પ્રસંગે સંતો-મહંતો, શહેરના મેયર, સાંસદ અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે, ત્યારે ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રા બીજા ક્રમે ગણાતી ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. રથયાત્રાના 36 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, કોરોના મહામારીના કારણે આ વર્ષે સીમિત સંખ્યામાં ભક્તોની હાજરી સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી.

શહેરના સુભાષનગર મંદિરથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરસિંહના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ તથા પહિન્દ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યમંત્રી વિભાવરી દવે, સાંસદ ભારતી શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર કીર્તિ દાણીધારીયા સહિત મહામંડલેશ્વર સ્વામી, સંતો-મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story