/connect-gujarat/media/post_banners/1fc7ecb5369d449edca94041fdfc99bc6271cad99dd7ce92fc3f9157ce1fbab7.jpg)
ભાવનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલમાં આવેલ રિંગ રોડ ખસતા હાલતમાં આવી જતાં તંત્ર અને કોન્ટ્રાક્ટર પ્રત્યે નગરજનોમાં રોષ જોવા મળ્યો છે. ભાવનગર શહેરમાં દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તાના નવનિર્માણથી લઈને સમારકામમાં લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પરંતુ પ્રજાના પરસેવાની કમાણી વેડફાઈ જતી હોવાથી નગરજનોમાં વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે, ત્યારે થોડા વર્ષો પૂર્વે શહેરના રીંગરોડને સ્પર્શી એરપોર્ટ અને નવાબંદરને જોડતો માર્ગ 9 કરોડની રાશિથી બનાવવામાં આવ્યો હતો.
પરંતુ ગુણવત્તાના અભાવ સાથે ભ્રષ્ટાચાર ભારોભાર થયો હોય તેવામાં આ રોડ ધૂળ-ધાણી થઈ જવા પામ્યો છે. આ સંદર્ભે જાગૃત નાગરીકોએ સમય સમયાંતરે જવાબદાર સત્તાધીશો-અધિકારીઓના કાન આમળ્યા, પરંતુ પરીણામ કશું જ આવ્યું નહીં. હાલમાં આ રોડની હાલત અત્યંત ખરાબ છે, અને વાહન ચલાવવું તો દૂર પગપાળા પસાર થવું પણ મુશ્કેલ છે, ત્યારે નેક-પ્રમાણિક નેતાઓ રોડ સંદર્ભે ઘટતું કરશે કે, કેમ એવાં સવાલો લોક માનસમાં ઉદ્દભવી રહ્યાં છે.
ભાવનગર શહેરમાં લોકોની પાયાકિય જરૂરિયાતો પૈકીનો એકમાત્ર માર્ગ છે. મહાનગરોમાં મુખ્યથી લઈને અંતરીયાળ રસ્તાઓ ટનાટન હોવા જોઈએ. જે અંગેની ટકોર કેન્દ્ર સરકાર પણ કરે જ છે, ત્યારે ભ્રષ્ટાચારનો અડીખમ અડિંગો બનેલ ભાવનગર મહાનગરપાલિકામાં પ્રજાના પ્રતિનિધિઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આપસી મિલીભગતથી વર્ષ દહાડે કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારની મલાઈ "ઓહિયા" કરી જાય છે. મહાનગરપાલિકામાં સબળ વિપક્ષનો અભાવ અને નબળી નેતાગીરીને પગલે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળ્યું છે,
ત્યારે આજકાલ નિર્માણ થતા રસ્તાઓ સંદર્ભે કોઈ જ ગેરેન્ટી-વોરંટી જેવું હોતું નથી. પરીણામે લોકો ટેક્સરૂપે જે નાણાં ભરપાઈ કરે છે, એ નાણાંના આધારે લોકોની સુખાકારીની વૃદ્ધિ કરવાના બદલે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય એજ મુખ્ય હેતુ પ્રજાએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓનો હોય છે. સત્તા 5 વર્ષની જ હોય આ 5 વર્ષમાં 5 પેઢીનું કરી નાંખવા દરેક નગરસેવકો-સેવીકાઓ તત્પર હોવાનો પણ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે.