મહુવાના ખેડૂતોમાં છવાઈ નિરાશા
કેળાના ભાવ તળિયે જતા નુકસાન
કેળાના ભાવ ન મળતા ખેડૂત નાસીપાસ
25 વીઘા ઉભા પાક પર ટ્રેકટર ફેરવીને કર્યો નાશ
ખેડૂતને અંદાજિત 15 લાખનું થયું નુકસાન
ભાવનગર જિલ્લાના મહુવાના બાગાયતી ખેતી કરતા ખેડૂતને કેળાના યોગ્ય ભાવ ન મળતા નાસીપાસ થઈ ગયા હતા,જેના કારણે તેઓએ પોતાના 25 વીઘાના કેળના ઉભા પાક ઉપર જ ટ્રેક્ટર ફેરવીને પાકનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા નજીક એક ખેડૂતે કેળાના પાકને પૂરતો ભાવ ન મળતા 25 વીઘા જમીનમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવીને નાશ કર્યો હતો.આ ઘટના ખરેડ રોડ પર બની હતી, જ્યાં ખેડૂતે 18 મહિનાની મહેનત બાદ આશરે 15 લાખ રૂપિયાનું નુકસાન વેઠ્યું હોવાનું જણાવ્યું છે.ખેડૂતના જણાવ્યા અનુસાર, એક વીઘા કેળાના પાક પાછળ આશરે 60 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. બજારમાં કેળાના ભાવ તળિયે પહોંચી જતા અને પાણીના ભાવે ખરીદી થતી હોવાથી ખેડૂતને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.
કેળા જેવા બાગાયતી પાક માટે ખેડૂતો 18 મહિના સુધી રાત-દિવસ મહેનત કરે છે અને સારા ભાવની આશા રાખે છે. જોકે, છેલ્લા એક મહિનાથી કેળાના બજાર ભાવ સતત નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો હતાશ થઈ રહ્યા છે.
જ્યારે અન્ય બીજા ખેડૂત ભરતભાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાગાયતી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ઉત્પાદન તો થાય છે, પરંતુ યોગ્ય ભાવ અને માર્કેટિંગ સુવિધાઓ ન મળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે.આ ઘટના ખેડૂત સમાજની હાલત અને કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ પર અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.