-
નિષ્કલંક ધામ છે શ્રદ્ધાળુઓ માટે આસ્થા સ્થાનક
-
પાંડવોને ભાઈ હત્યાના કલંક માંથી મળી હતી મુક્તિ
-
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે દર્શન માટે
-
આસ્થા સ્થાનને યાત્રાધામ તરીકે વિકસાવવા માંગ
-
કેન્દ્રીય રાજ્ય મંત્રી દ્વારા કરવામાં આવી રજૂઆત
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળીયાક ગામના દરિયા કિનારે સ્થિત નિષ્કલંક મહાદેવ ધામને આધુનિક યાત્રાધામ તરીકે નિર્માણ કરવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણીયા દ્વારા પહેલ કરવામાં આવી છે.
ભાવનગરના દરિયા કાંઠે અનેક પ્રાચીન અર્વાચીન મંદિરો આવેલા છે,જેમકે તળાજા તાલુકામાં આવેલ ગોપનાથ મહુવાના દરિયા કાંઠે આવેલ ભવાની મંદિર સહિત અનેક સ્થળો એવા છે કે જ્યાં આજ સુધીમાં વિકાસની વાતો જ થઈ છે.પરંતુ આ સિવાય કોઈ જ વિકાસલક્ષી કાર્ય થયું નથી.જો કે નિષ્કલંક ધામનો વિકાસ કરવામાં આવે તો ગોપનાથ અને ભવાની મંદિરનો પણ વિકાસ ચોક્કસ થઈ શકશે એવું શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે.હાલમાં રાજ્ય સરકાર દ્વારા નિષ્કલંકને કેવી રીતે વિકસાવી શકાય તે અંગેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે, અને આગામી સમયમાં આ અંગે કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભાવનગર જિલ્લામાં અનેક પ્રાચીન અર્વાચીન સ્થળો આવેલા છે,જે પૈકી ઘોઘા તાલુકાના કોળીયાક ગામે સમુદ્રમાં નિષ્કલંક મહાદેવનું સાનિધ્ય આવેલું છે.પુરાણોના મત મુજબ આ સ્થળનો ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો છે,પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોને ભાઈ હત્યાનો કલંક લાગ્યો હતો. આ કલંક માંથી મુક્ત થવા માટે પાંડવોએ વિશ્વભરમાં ભ્રમણ કર્યું પરંતુ કોઈ સ્થળે તેઓ પાપ મુક્ત ન થયા અને છેલ્લે જ્યારે આ સમુદ્ર તટ પર આવ્યા ત્યારે તેઓ કલંક મુક્ત થયા હોવાની વાત શાસ્ત્રો જણાવે છે.આથી આ સ્થળને નિષ્કલંક તરીકે સ્થાપવામાં આવ્યું હતું.
અહીં પાંચ પાંડવોએ સ્થાપિત શિવલિંગ છે અને આ સ્થળે બારેમાસ દેશ પરદેશથી લોકો દર્શન માટે આવે છે.પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે કે વર્ષોના વહાણા વિતવા છતાં આ સ્થળનો કોઈ જ વિકાસ કરવામાં નથી આવ્યો ત્યારે વખતો વિત્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા આ સ્થળને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાની વાતો ચોક્કસ કરવામાં આવી છે.
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણિયા અને ભાવનગરના કલેકટરે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ સ્થળને યાત્રાધામ કમ પ્રવાસ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.એ માટે જરૂરી સર્વે પૂરો કરી શ્રદ્ધાળુ અને પર્યટકોની જરૂરિયાત મુજબ તમામ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવશે.