અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ
રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ
રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ
કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર
કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.