ભાવનગર: વેપારી દુકાન ખોલવા ગયા તો એક કવર મળ્યું, અજાણ્યા શખ્સે દોઢ કરોડની ખંડણી માંગી
વાઘાવાડી રોડપર ઓફિસ ધરાવતા જૈન વૃદ્ધની ઓફિસમાં કોઈ અજાણ્યા શખ્સે લેટર મોકલી રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર શહેરના વાઘાવાડી રોડપર ઓફિસ ધરાવતા જૈન વૃદ્ધની ઓફિસમાં કોઈ અજાણ્યા શખ્સે લેટર મોકલી રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વૃદ્ધે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તત્કાળ આ અંગે તપાસ હાથ ધરી એક રીઢા ગુનેગારોને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે રહેતા અને વાઘાવાડી રોડપર પરીમલ ચોક પાસે ડી.& આઈ એક્શલસ બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતા જતિન કનુભાઈ શાહ ઉ.વ.60 ગત તા.19,4 ના રોજ નિત્યક્રમ મુજબ સવારે ઓફીસે ગયાં હતાં એ દરમ્યાન તેમના ટેબલ પર એક કવર સાથે લેટર પડ્યો હોય જે અંગે સ્ટાફને પુછતાં ઓફીસ સ્ટાફે જણાવ્યું હતું કે ઓફીસ ખુલવા સમયે આ કવર દરવાજા પાસે પડ્યું હોય આથી સ્ટાફે આ કવર ફરીયાદી જતિનના ટેબલે મુક્યું હતું, આ કવરના લેટરમા અજાણ્યા શખ્સે દોઢ કરોડની ખંડણી માંગી હતી અને ખંડણીની રકમ ડ્રાઈવર સાથે કસ્ટમ ઓફીસના ખાંચામાં ગત તા.22.4 ના રોજ બપોરે દોઢ વાગ્યે મોકલી આપવા જણાવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરશે કે અન્ય કોઈ પગલાં લેશે તો ઈન્કમટેક્ષ ને જાણ કરી દેશે અને આ લેટરને મામૂલી ન સમજવા ગર્ભિત ધમકી આપી હતી આ અંગે વૃદ્ધે અજાણ્યા શખ્સ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સમગ્ર કેસને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ટેકનિકલ સોર્સીસ તથા યુક્તિ-પ્રયુક્તિથી આ ખંડણીનો લેટર મોકલનાર લૂંટ કેસનો રીઢો ગુનેગાર ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો કુરજી ચાવડા રે.ભાગ્યોદય સોસાયટી પ્લોટનં-42 વાળાને ઉઠાવી પુછતાછ કરતાં તેણે ખંડણીની માંગ કરતો લેટર વેપારીને મોકલ્યાની કબૂલાત કરતાં પોલીસે આરોપી ની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.