દ્વારકામાં નશાકારક હેન્ડ સેનીટાઈઝરનું મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસની મોટી કાર્યવાહીમાં 7 શખ્સો સામે ગુનો નોંધાયો છે.જ્યારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હેન્ડ સેનીટાઈઝરની બોટલોના નામે ચાલતા નશાના કારોબારનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં વેચાતી સ્વાસ્થ્ય અને હાનિકર્તા હેન્ડ સેનીટાઈઝરની બોટલોને કબજે લઈ અને આ પ્રકરણ સંદર્ભે સંકળાયેલા વેપારીઓ, સપ્લાય કરતા ઉપરાંત અન્ય રાજ્યના ઉત્પાદકો દ્વારા અહીં નશાકારક એવું આ પીણું વેચવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ પછી તાજેતરમાં દ્વારકા વિસ્તારમાં એક પ્રોવિઝન સ્ટોરમાંથી આ પ્રકારની શંકાસ્પદ બોટલોને પોલીસે કબજે લઈ અને તેની તપાસ બાદ આ પ્રકરણમાં દ્વારકા પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા દિવસો સુધી ઉંડાણપૂર્વકની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કુલ સાત પૈકી દ્વારકા અને ખંભાળિયાના વેપારીઓ સહિતના કુલ ત્રણ શખ્સોને ઝડપી લઇ, રિમાન્ડ મેળવીને વિવિધ મુદ્દે પ્રકાશ પાડ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા સવદાસ કરસન પોપાણીયા નામના વેપારી દ્વારા તેની ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં રાખવામાં આવેલી હેન્ડ રબ (સેનીટાઇઝર)ની કેટલીક શંકાસ્પદ બોટલો સ્થાનિક પોલીસે કબજે કરી હતી.
આ પછી આગળની તપાસમાં ચોક્કસ કંપનીની ગ્રીન એપલ હેન્ડ રબ અને ઓરેન્જ હેન્ડ રબના નામથી અહીં રહેલી કુલ રૂપિયા 11,100 ની કિંમતની જુદી જુદી 74 બોટલ કબજે લઈ અને ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને દ્વારકાના પી.આઈ. દિપક ભટ્ટ તેમજ એલસીબી પી.આઈ કે.કે. ગોહિલ અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીને તાત્કાલિક દ્વારકા ખાતે કેમ્પ રાખીને આ બાબતે ઉંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.
જેને અનુલક્ષીને દ્વારકા પોલીસ મથકમાં બી.એન.એસ. તેમજ પ્રોહિબિશન એક મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ભટ્ટને સોંપવામાં આવી હતી. તપાસ કાર્યવાહી દરમિયાન તાત્કાલિક અસરથી એલ.સી.બી.ની પોલીસ ટીમ દ્વારા કુલ સાત પૈકી ત્રણ આરોપીઓની જુદી જુદી કલમ હેઠળ અટકાયત કરી, કેટલીક ચોંકાવનારી વિગતો મેળવી હતી. પોલીસ તપાસમાં આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરની આ બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ટુપણી ગામના વેપારી સવદાસ કરસન પોપણીયા, ખંભાળિયામાં ગુંદી ચોક વિસ્તારમાં રહેતા વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી, ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા અક્રમ નઝીર બનવા, નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી ચિરાગ તો પાણી અને અક્રમ નઝીર બનવા નામના બે શખ્સો સામે અગાઉ ખંભાળિયામાં આયુર્વેદિક સીરપ પ્રકરણ સંદર્ભે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
વધુમાં આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના મૂળ વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા, કલ્યાણપુર તાલુકાના રહીશ ધર્મેશ ઉર્ફે રઘો ઉર્ફે મારાજ પરસોતમભાઈ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી (ગુસાઈ) તેમજ પોરબંદર તાલુકાના મિયાણી ગામના રહીશ અને સંગીતા આયુર્વેદિક કેરના પ્રોપરાઇટર બ્રિજેશ ભાવેશભાઈ જાદવ નામના અન્ય ચાર શખ્સોની પણ સંડોવણી આ પ્રકરણમાં ખુલવા પામી છે. અને પોલીસે આરોપીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.