ડાંગ : પ્રકૃતિપ્રેમીઓને સ્વયંને ઓળખવાની ઉમદા તક પૂરી પાડતું નૈસર્ગિક સ્થળ એટલે ચનખલનું આર્ટિસ્ટ હાઉસ...

ચનખલ ગામની સીમમાં, સહિયાદ્રિ પર્વતમાળાની શૃંખલાની વચ્ચે આવેલું આર્ટિસ્ટ હાઉસ પ્રકૃતિ સાથે નાતો જોડવાનો અનોખો અવસર પુરો પાડે છે.

New Update
ડાંગ : પ્રકૃતિપ્રેમીઓને સ્વયંને ઓળખવાની ઉમદા તક પૂરી પાડતું નૈસર્ગિક સ્થળ એટલે ચનખલનું આર્ટિસ્ટ હાઉસ...

“કેવલ સ્વયં કો ખોજના હૈ, બાકી સબ તો ગુગલ પે હૈ હી”, માનવીને પોતાની આત્મખોજ માટે પ્રેરતી આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવી હોય, કે સાથે જ પોતાના માંહયલાને ઓળખવાનો અહેસાસ કરવો હોય, તો એના માટે નિરવ શાંતિ અને પ્રકૃતિનો ખોળો શ્રેષ્ઠ સ્થળ ગણાય. આવા જ કઈંક હટકે પ્રકૃતિપ્રેમી પર્યટકો કે જેણે માત્ર ને માત્ર શાંતિ માટે પ્રવાસ કરવો હોય, કુદરતને અને પોતાને મનની આંખોથી નિરખવા હોય, કુદરત સાથે તાદાત્મ્યતા કેળવવી હોય, અને આંતરખોજ કરવી હોય, તો આવો અદભૂત માહોલ પ્રદાન કરતું એક સ્થળ, સહિયાદ્રિ પર્વતમાળાની ગોદમાં તમારી રાહ જુએ છે.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની સમીપે આવેલા ચનખલ ગામની સીમમાં, સહિયાદ્રિ પર્વતમાળાની શૃંખલાની વચ્ચે આવેલું આર્ટિસ્ટ હાઉસ પ્રકૃતિ સાથે નાતો જોડવાનો અનોખો અવસર પુરો પાડે છે. નૈસર્ગિક માહોલ પ્રદાન કરતું આ સ્થળ ખાણીપીણીના શોખીન પ્રવાસીઓ માટે હરગીઝ નથી. એ ચોખવટ સાથે જણાવી દઉં કે, અંહી માનવી અને પ્રકૃતિના સુભગ સમન્વય થકી પોતાના અંતરાત્માને ઓળખવા માંગતા, અને મનની સાચી શાંતિ માટે કેવળ સ્વયંને શોધવા માંગતા પર્યટકો આ સ્થળનો લુફત ઉઠાવી શકે છે.

આત્મનિર્ભર અને ખૂબ જ સંવેદનશીલ સર્જકોના પરિવારની સ્વપ્નસૃષ્ટિ જેવા આ સ્થળના કણકણમાં તેમના પરિશ્રમની પ્રસ્વેદની સુવાસ પ્રગટે છે. કોઈપણ જાતના વ્યાવસાયિક હિતોથી દૂર, માત્ર ને માત્ર પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય સાધી, પોતાની જાતને ઓળખવા માંગતા લોકોને પાયાકિય સુવિધા સાથે એક ઉત્તમ મોકો પ્રદાન કરવાની ઘેલછાને પરિણામે આ સ્થળનું નિર્માણ થયું છે. અહી 2 -4 દિવસ રોકાણ કરવાની મહેચ્છા સાથે આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આ પરિવાર યોગ, પ્રાણાયામ, નેચરોપથી સાથે વિવિધ કળા જેવી કે નેચર ફોટોગ્રાફી, મોડલીંગ, એકટિંગ, ગીત સંગીત, નૃત્ય, ટ્રેડિશનલ પેઈંટિંગ, વારલી અને પચવે પેઈંટિંગ, સ્કલ્પચર આર્ટ જેવી વિવિધ સર્જનાત્મક પ્રવૃતિ પણ પુરી પાડે છે.

પ્રકૃતિપ્રેમી પર્યટકોના રસરુચિના તમામ પાસાઓને લક્ષમાં લઈ તેમને નેચર ટ્રેઇલ, જંગલ ટ્રેઇલ, વિલેજ ટ્રેઇલ, ઓર્ગેનિક ફાર્મિંગ, ટ્રેડિશનલ અને ઓર્ગેનિક સેલ્ફ મેડ ફૂડ, મેંડિશનલ પ્લાનટેશન સાથે સંપૂર્ણ પરિવારિક માહોલ પુરો પાડવામાં આવે છે. ૨૪×૭×૩૬૫ દિવસ પ્રકૃતિ, સંસ્કૃતિ, અને સર્જન કળાને જીવંત રાખવાની મથામણ કરતા આ પરિવારના મોભી એવા અનિલ પટેલે એક નાનકડી મુલાકાતમાં જણાવ્યુ હતું કે, સુરતના નાલંદા વિદ્યાલયના સંચાલકો પણ અહી જીવનના પાઠ ભણવા માટે, તેમના બાળકોને પ્રકૃતિની ગોદમાં મોકલી, વિવિધ પ્રવૃતિઓમાં સામેલ કરી રહ્યા છે, ત્યારે શહેરની અન્ય શાળાઓ પણ તેમના પગલે ચાલી બાળકોને પ્રકૃતિ, સંસ્કૃતિ, અને લોકકલાના વારસાને જાણવા, માણવા, અને સમજવા આર્ટિસ્ટ હાઉસમાં નિવાસી કેમ્પ આયોજિત કરી રહ્યા છે.

ડુંગરોની હારમાળા વચ્ચે પાયાકિય જરૂરિયાતોની પૂર્તિ સાથે તૈયાર કરાયેલી અંહીની હટ્સમાં તમે રાતવાસો કરીને, ખુલ્લા આકાશમાં ટમટમતા તારલાઓ, અને ઘનઘોર રાત્રીના અંધકારમાં વન પ્રદેશમાં ઝગમગતા જુગનુઓના ઝુંડનો અણમોલ નજારો નસીબમાં હોય તો માણી શકો છો. ખળખળ વહેતા ઝરણાનું સંગીત, ક્યાક રાની પશુઓની દહાડ, તો ક્યાક સરીશ્રુપોના છુપા ભયના ઓથાર સાથે કેમ્પ ફાયરના સથવારે પરંપરાગત સિઝનલ ડાંગી વ્યંજનોનો આસ્વાદ માણવાની ઉતમ તક સાથે, કોઈ પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડરથી જોજનો દુર, પારિવારિક વાતાવરણમાં માંહયલા સાથે એકાત્મકતા સાધવાનો અમૂલ્ય અવસર તમને અહી મળી રહે છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.