/connect-gujarat/media/media_files/2025/12/24/deputy-mamlatdar-chandrasinh-mori-2025-12-24-15-39-49.jpg)
સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ED દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે,સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ જમીન કૌભાંડમાં EDની કાર્યવાહી બાદ કલેકટર સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આજે EDની ટીમ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.
મંગળવાર વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા.જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી,NA શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ જાડેજા અને વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી EDને મળી હતી.આ તપાસમાં EDએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.