પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો હતો. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેથી કિયા કારનો ભુક્કો બોલી ગયો હતો. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી.
આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પરિવારના છ સભ્યોને ઈજા પહોંચી હતી. જેમાં એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત 4 લોકોમાંથી એકની હાલત ગંભીર છે. ખુશીઓનો પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો.