ગુજરાત સરકારે મેન્ગ્રોવના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું છે, ત્યારે દરિયાઇ ઇકો-સિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતાં ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે.
વૈશ્વિક કક્ષાએ તા. 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેર એટલે કે, મેન્ગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃ સ્થાપનના પ્રયાસો કર્યા છે. જેની ફળશ્રુતિરૂપે ગુજરાતમાં મેન્ગ્રોવ કવર 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. દરિયાઇ ઇકો-સિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતાં ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે. જે રાજ્યના મેન્ગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારો મેન્ગ્રોવ કવર ધરાવે છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, મેન્ગ્રોવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે.