/connect-gujarat/media/media_files/2026/02/19/social-justice-and-empowerment-department-2026-02-19-12-53-09.jpg)
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયામાં મોટો સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળે તે હેતુથી હવે પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં ડિજિટલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી પ્રમાણપત્ર મેળવવા માટે નાગરિકોને કચેરીઓમાં વારંવાર ચક્કર લગાવવા પડતા હતા. પરંતુ નવા અમલ બાદ પ્રક્રિયા વધુ સરળ બનવાની છે. સરકારનું માનવું છે કે ડિજિટલાઈઝેશન દ્વારા સમય અને માનવીય ભૂલો બંનેમાં ઘટાડો થશે.
નવી વ્યવસ્થા હેઠળ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડેક્લેરેશન આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે અરજદાર પોતાની આવકની વિગતો અંગે સ્વ-ઘોષણા કરશે અને તે આધારે પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરાશે. જો કોઈ અરજદાર ખોટી માહિતી આપે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાનો હેતુ પ્રમાણપત્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો છે અને ગેરરીતિઓને અટકાવવાનો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
આવકનું પ્રમાણપત્ર હવે QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે આપવામાં આવશે. આ સુવિધાથી પ્રમાણપત્રની સચ્ચાઈ સરળતાથી ચકાસી શકાય તેવી બનશે. ડિજિટલ ઈ-સર્ટિફિકેટ સિસ્ટમથી નકલી પ્રમાણપત્રોની શક્યતા ઘટશે અને સરકારી યોજનાઓમાં યોગ્ય લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવો સરળ બનશે. સાથે જ સિંગલ સાઇન-ઓન (SSO) સિસ્ટમનો અમલ કરીને અરજી પ્રક્રિયા વધુ સુગમ બનાવવામાં આવી છે. અરજદારો હવે એક જ લોગીન દ્વારા વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.
નવી વ્યવસ્થા હેઠળ અરજદાર ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકશે,તેમજ પોતાની અરજીની સ્થિતિ ટ્રેક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ પગલાથી પ્રક્રિયામાં ઝડપ આવશે અને પારદર્શિતા વધશે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓની જવાબદારી સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવી છે.જેથી સમયસર કાર્યવાહી થાય. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે નાગરિકોને સરળ સેવા મળશે અને ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂતી મળશે.