ભૃગૃપુર ગામમાં નોમ અને દશેરા પર્વનો અનેરો મહિમા
વર્ષો પહેલા પ્લેગથી અનેક લોકોએ ગુમાવ્યા હતા જીવ
પ્લેગ રોગ સામે સંરક્ષણ મળે તે માટે ભક્તે કરી પ્રાર્થના
નોમ-દશેરાના દિવસે કાઢવામાં આવતો રાવણનો ખેલ
રાવણ જેને ધોકો મારે તેની તમામ બિમારી થાય છે દૂર
સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગૃપુર ગામમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ યથાવત જોવા મળી છે, જ્યાં નોમ અને દશેરા પર્વ નિમિત્તે રાવણનો ખેલ કાઢવામાં આવે છે. જેને જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા.
વર્ષ 1952માં સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગુપુર ગામ ખાતે પ્લેગ નામની ભયંકર બિમારી ઘર કરી ગઈ હતી. જેના કારણે અનેક લોકોના મોત થયા હતા, ત્યારે ક્ષત્રિય યુવાને અંબે માતા પાસે પ્લેગનો રોગ ગામમાંથી જતો રહે, તો દર વર્ષે નવરાત્રિમાં 2 દિવસ ભવાઈ કરી નોમના દિવસે રાવણવધ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. અંબે માતાની કૃપાથી ગામમાં એકપણ મોત થયું નહોતું. ત્યારથી અત્યાર સુધી 2 દિવસ ભવાઈ અને નવમાં નોરતે રાવણ વધની પરંપરા અકબંધ રહી છે.
ભૃગુપુર ગામે રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિના બન્ને હાથમાં વાંસના ધોકા આપવામાં આવે છે. જે લોકો બિમારીથી પીડાતા હોય તે રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો ફટકારે છે. ગ્રામજનોની માન્યતા મુજબ રાવણ જેને ધોકો મારે છે, તેની બિમારી દૂર થઈ જાય છે.
જે લોકોને આખું વર્ષ સાજા નરવા રહેવું હોય તે પણ રાવણના હાથે ધોકાનો સ્વાદ ચાખે છે, ત્યારે સુરેન્દ્રનગરના ભૃગૃપુર ગામમાં અનોખી પરંપરા આજે પણ યથાવત છે. જેને જોવા માટે અનેક લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા.