જામનગર જિલ્લામાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
સમગ્ર રાજ્યમાં તારીખ 26 જૂનથી આગામી તારીખ 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક ભૂલકાઓ આજના દિવસે શિક્ષણ તરફ તેમની પ્રથમ પા પા પગલી માંડવા જઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
જામજોધપુર તાલુકામાં આવેલ ઝીણાવારી પ્રાથમિક શાળા, કરસનપર પ્રાથમિક શાળા, મોટી ગોપ પ્રાથમિક શાળા અને મોટી ગોપ માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડી, બાળ વાટિકા, પહેલા ધોરણમાં અને નવમા ધોરણમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતી વેળાએ કેબિનેટ મંત્રીશ્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, ''તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હૈયે એક એક બાળકના ભવિષ્યની શુભકામના વસેલી છે. જામનગર જિલ્લામાં આવેલી તમામ શાળાઓ એ પ્લસ કેટેગરીમાં સ્થાન મેળવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે.
આપણી આવતીકાલ સુધારવા માટે આજનો આ શિક્ષણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.'' ત્રણેય શાળાઓમાં મળીને કુલ 220 બાળકો જેમાં બાળ વાટિકામાં 54 બાળકો, આંગણવાડીમાં 82 બાળકો, પહેલા ધોરણમાં 62 બાળકો અને નવમા ધોરણમાં 22 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઈનામ વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જામજોધપુર APMCના સહયોગથી કાર્યક્રમમાં લાભાર્થી તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વાસમો યુનિટ મેનેજર ભાવિકાબા જાડેજા, જામજોધપુર મામલતદાર, જામનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક પ્રતિક જોશી, જામજોધપુર તાલુકા પંચાયતના સભ્યઓ, અન્ય પદાધિકારીગણ, શાળાના આચાર્ય, શાળાના શિક્ષક ગણ, ભૂલકાઓ, આંગણવાડીના કર્મચારીગણ, જામજોધપુર એ.પી.એમ.સી.ના હોદ્દેદારો, આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.