-
માલધારી સમાજની જિલ્લા કલેક્ટર સામે માંગ
-
જાતિ પ્રમાણપત્ર માટે પાઠવ્યું આવેદનપત્ર
-
તંત્ર તેઓની રજૂઆત ધ્યાને ન લેતું હોવાનો આક્ષેપ
-
વારંવારની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
-
આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવાની ઉચ્ચારી ચીમકી
જૂનાગઢ જિલ્લાના ગીર, બરડો,આલેચ,હાલાર,બારાડી પંથકના માલધારી,ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માલધારી સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્રને લઈ છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે.
પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પણ નિરાકરણ ન આવતા ગીર,બરડો,આલેજ,હાલાર,બારાડી પંથકના માલધારી,ચારણ સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં માલધારી સમાજ દ્વારા કલેક્ટરને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આદિજાતિ વિકાસ વિભાગના તારીખ 10/09/2024 નો પત્ર આવ્યા બાદ ચારણ સમાજના અરજદારો દ્વારા અલગ અલગ તાલુકામાં ઓક્ટોબર-નવેમ્બર 2024માં અંદાજે 1200 જેટલી આદિજાતિના પ્રમાણપત્રો માટેની અરજી કરવામાં આવી હતી.
પરંતુ એક પણ અરજીનો ઉકેલ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો નથી. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓના મામલતદાર દ્વારા 2020ના નિયમ અનુસાર અરજી મળ્યાના 45 દિવસમાં અરજદારને જવાબ આપવો ફરજિયાત છે,તે નિયમનું પણ તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી. તેમજ આજના સમયમાં પણ માલધારી સમાજમાં 80 ટકા અરજદાર અભણ, ગરીબી રેખા હેઠળ અને અજાગૃત છે. માલધારી સમાજના પૂર્વજોના જન્મ-મરણ રજીસ્ટર અને લિવિંગસર્ટિના નથી એ કારિયા કમિટીએ સ્વીકાર્યું છે. આ અંગે દરેક અરજદાર દ્વારા સોગંદનામું આપવા છતાં પણ મામલતદાર દ્વારા અમારા સમાજના અરજદારને પરેશાન કરવામાં આવે છે.
વધુમાં આવનારા દસ 10 દિવસમાં માલધારી સમાજના પ્રશ્નનનો ઉકેલ નહીં આપવામાં આવે તો, આગામી તારીખ 01 ફેબ્રુઆરી 2025ના રોજ મીડિયા અને રાજનૈતિક દળો સાથે આદિજાતિ વિકાસ વિભાગનો ઘેરાવ કરવા માટે ચારણ સમાજ મજબૂર થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.