ખેડા : સરકારી વિનયન અને વાણિજય કોલેજ-કઠલાલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો...
ખેડા જિલ્લા સ્થિત સરકારી વિનયન અને વાણિજય કોલેજ-કઠલાલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મેરી માટી મેરા દેશ અભિયાન અનુસંધાને કેમ્પસ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
રાષ્ટ્રીય સેવા યોજના અને સામુદાયિક સેવાધારાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રસ્તુત કાર્યક્રમમાં આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસના નારા સાથે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કોલેજ કેમ્પસની સફાઈ હાથ ધરાઇ હતી, અને ત્યાર બાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને અનુસંધાને કોલેજના પરિસરમાં પ્રતિક સ્વરૂપે આપણું કેમ્પસ હરિયાળું કેમ્પસના નાદ સાથે ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પંચ પ્રણ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજ આચાર્ય ડૉ. અમિતકુમાર પરમાર, ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણા, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક પરેશ પટેલ સહિત કોલેજના તમામ અધ્યાપક તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.