ખીજડીયા પક્ષી અભયારણ્ય આકર્ષણનું કેન્દ્ર
વિશ્વભરમાંથી યાયાવર પક્ષીઓ લે છે આશરો
હરિયાળી-પક્ષીઓનો કલરવ મનને આપે છે શાંતિ
પક્ષીપ્રેમીઓ માટે પહેલી પસંદગી બન્યું અભયારણ્ય
પ્રકૃતિના સૌંદર્ય,જીવસૃષ્ટિની સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ
જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં વિશ્વભરમાંથી આ 300થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષીઓ આવે છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર- સુદૂર દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે.
જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા બર્ડ સેન્ચુરી શિયાળામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન, યુરોપ, આફ્રિકા, ઈરાન-ઈરાક અને સાઇબેરિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આશ્રય લે છે.
જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું આ પક્ષી અભયારણ્ય લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ખીજડીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે. અમદાવાદથી આવેલા પ્રવાસીઓએ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અઠખેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે.
દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્ય-જીવો નિહાળવા આવે છે. ખીજડીયા બર્ડ સેન્ચુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે. પ્રવાસીઓ અહીંથી મનમોહક નજારાઓને પોતાની યાદોમાં સમેટીને, પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ લઈને પરત ફરે છે.