ગાંધીનગર ખાતે પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વર્કિંગ ગ્રુપ મીટિંગના સભ્યોએ ગત તા. 1 એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ સ્થિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે પધાર્યા હતા, ત્યારે પ્રતિનિધિઓએ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કચ્છ જીલ્લામાં આવેલા ભૂકંપના દિવંગતોની યાદમાં ભુજ ખાતે બનેલા સ્મૃતિવન મેમોરિયલની G-20ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ફિલ્ડ વિઝીટના ભાગરૂપે મુલાકાત લીધી હતી. કચ્છની ધરતી પર પધારેલા ડેલિગેટસ સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. GSDMAએ વતી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ નિર્માણ વિશેની તથા અન્ય આકર્ષણો વિશેની માહિતી આપી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમમાં જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝની પ્રતિનિધિઓએ નિહાળી હતી. મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં G-20ના સભ્યોને ભૂકંપનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ સાથે પ્રતિનિધિઓએ સ્મૃતિવનમાં મ્યૂઝિયમની કુલ 7 ગેલેરી જેમાં પુનઃ જન્મ, પુનઃ પ્રાપ્તિ, પુનઃ સ્થાપના, પુન: નિર્માણ, પુનઃ વિચાર, પુનઃ જીવન અને નવીનીકરણ નિહાળીને દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા, આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કલા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ડેલિગેટ્સે નિહાળી હતી. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણો વીડિયોના માધ્યમથી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અંતિમ ગેલેરીમાં ભવિષ્ય માટે સંદેશ લખીને ડેલિગેટ્સ એ ભાવપૂર્વક કચ્છના 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, તાલીમી આઇએએસ અધિકારી સુનિલ સોલંકી, સુશ્રી નીતિ ચારણ, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. કશ્યપ બૂચ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્મૃતિવન મ્યૂઝિયમ ડાયરેકટર મનોજ પાંડે, ઓપરેશન હેડ વ્યોમ અંજારીયા, ગાઈડ સર્વ સવિતા ચાવડા, દિવ્યા ગોર, જગદીશ ચાવડા, મિનાઝ સમા, મિત ગોહિલ, સાગર ગુસાઈ આ મુલાકાતને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી