કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા-સુખપર વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાંખ્યયોગી સહિત 3 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુખપર ગામે સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ પ્રસંગબુ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારાસર ગામના સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી તેમજ સત્સંગી મહિલાઓ ભારાસરથી સુખપર ગામે શાકોત્સવ પ્રસંગમાં હાજરી આપી પરત ભારાસર જતાં હતા. તે દરમ્યાન ગત મોડી રાત્રે તેઓની કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 45 વર્ષીય સાંખ્યયોગી પ્રેમીલા વરસાણી તેમજ 45 વર્ષીય સત્સંગી મહિલા સવિતા હિરાણી અને 25 વર્ષીય શિલુ વરસાણીનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 50 વર્ષીય કાર ચાલક રસીલાબેનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો બૂકડો બોલી ગયો હતો અને ટ્રક પણ ધોરી માર્ગ પરથી બાજુમાં ડિવાઇડર તરફ ઉતરી ગયો હતો. બનાવની જાણ થતાં જ ગામ આગેવાનો અને સ્વામિનારાયણ મંદિરના અનુયાયીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ તો માનકુવા પોલીસે અકસ્માતમાં 3 મહિલાઓના મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.