Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું "ઘોડાપુર"

પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ, રાજ્યના શિવ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.

X

આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે, ત્યારે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા.

પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ હોય છે. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હવેથી ભક્તો ભગવાન શિવના 4D દર્શન તેમજ 360 ડિગ્રીથી શિવલિંગના દર્શન પણ કરી શકશે.

જોકે, શિવભક્તો શ્રાવણ માસમાં ઉપવાસ કરી, શિવલિંગ પર દૂધ-બીલીપત્ર ચઢાવી, યથાશક્તિ પ્રમાણે દાન અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે ભગવાન શિવની આરાધના કરતાં હોય છે. આ સાથે જ શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તો આશીર્વાદ મેળવવા પ્રખ્યાત શિવ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા.

Next Story