જુનાગઢની કૃષિ યુનિવર્સીટીના કિસાન વિકાસ ભવન-સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે 30મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાંથી 55 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહી આગામી ચોમાસુ કેવું રહેશે, અને વરસાદ ક્યાં અને કેવો અને કેટલો થશે તેની જુદા જુદા આગાહીકારોએ પોતાના મંતવ્યો રજૂ કરી આગાહી કરી હતી. વરસાદ વિશે આગાહીકાર રમણિક વામજાએ જણાવ્યું હતું કે, 33 જેટલા ખગોળીય વિજ્ઞાનના આધારે અને આકાશી મંડળો પરથી વરસાદની આગાહી થતી હોય છે. આ વર્ષે સખત ગરમી પડવાથી વીંછીડો 26 દિવસ સુધી હોવાથી ગરમી પડી રહી છે, અને તેના લીધે હાલ સખત ગરમી પણ અનુભવાય રહી છે, તેમજ આગામી નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ ખૂબ જ સારો રહેશે. કદાચ વાવાઝોડું પણ આવી શકે તેવી આગાહીકારોએ આગાહી કરી છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી વર્ષ 12થી 14 આની એટલે કે, 75થી 80 ટકા જેટલું થશે. જે ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે, અને પાક પણ સારો થશે. તેમજ 2 વરસાદ વચ્ચે થોડો સમયગાળો રહેશે. કોઈપણ આગાહીકારોએ અતિવૃષ્ટિ થશે તેમ નથી જણાવ્યું હતું. વરસાદ વિશે સારું એવું જાણનારા આગાહીકાર દોલતપરીના જણાવ્યા મુજબ કેવા પ્રકારના વાદળાંઓ નીકળે છે, તેના પર વરસાદનું અનુમાન લગાવાતું હોય છે. તેમજ પશુ-પક્ષીઓ અને ગ્રહો તેમજ નક્ષત્રોના આધારે પણ વરસાદ વિશે ભિન્ન ભિન્ન આગાહીઓ કરવામાં આવતી હોય છે, અને ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ સારા એવા પ્રમાણમાં થશે તેવી આગાહી કરવામાં આવી છે.