/connect-gujarat/media/post_banners/af867caafabf902b6ab021ee71c677c34de4fc3f8d281acbdfb46f15f09b4cc9.jpg)
ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિ મંડળે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ SOUને ભારતની એકતાનું ભવ્ય પ્રતીક ગણાવ્યું હતું.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભૂતાનની શાહી સરકારનું પ્રતિનિધિ મંડળ આવી પહોચ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં ભૂતાનની શાહી સરકારના ઉદ્યોગ, વ્યાપાર તેમજ રોજગાર મંત્રાલયના વચગાળાના સલાહકાર ફુંતશો રાપ્ટેન, મુખ્ય ઉદ્યોગ અધિકારી તાંડિન વાંગ્ડી તથા ભૂતાની એમ્બેસીના ઇકોનૉમિક કન્લસલ્ટન્ટ પેમ બિધાનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મામલતદાર આશીષ બાખલકિયાએ સ્મૃતિ ચિહ્ન તથા કૉફી ટેબલ બુક આપી ભૂતાન સરકારના ત્રણેય પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ત્રણેય પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સૌપ્રથમ ત્રણેય પ્રતિનિધિઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ તથા માળખાકીય વિષયની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ તેમને દુનિયાની મુખ્ય ઉંચી પ્રતિમાઓ સાથે સરખામણી કરતી માહિતી આપવામાં આવી હતી. જે બાદ પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શન એરિયાની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શન વિસ્તારમાં ભૂતાન સરકારના ત્રણેય પ્રતિનિધિઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલ માહિતી તેમજ ભારતીય રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલની ભૂમિકા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.