નર્મદા : રાજપીપળાના રામજી મંદિર ખાતે રામોત્સવની તૈયારીને અંતિમ ઓપ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે
અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત 210 વર્ષ જૂના રામજી મંદિર ખાતે પણ રામોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિર ખાતે પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં બારેમાસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે. પરંતુ રામ નવમી એ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે, તે અનુસંધાને અહીંના આ પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ કરાય રહી છે. ભગવાન શ્રીરામને નવા વાઘા અર્પણ કરાય રહ્યા છે, તો આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિકજનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે. મંદિરમાં દરરોજ આરતી, કથા અને રામધુનની સાથે સાથે સાફ-સફાઈને પણ ખૂબ જ અગત્યતા આપવામાં આવી રહી છે. આજુબાજુના વિસ્તારના લોકોએ રામ મંદિરની આજુબાજુમાં ઉત્સવ જેવો માહોલ ઉભો કરવા માટે ખાસ સાજ-શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગાર્યું છે. દરેકના મનમાં પ્રભુ રામના રામોત્સવને ઉજવવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે, ત્યારે સાક્ષાત રામ 22મી તારીખે રાજપીપળાના આ પૌરાણિક મંદિરમાં આવશે, અને તેથી જ અનોખા ઉત્સાહનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે.