નવસારી : નિરાશ્રિતોને આભ નીચે સૂવું નહિ પડે, 2.40 કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા

અનેક વૃદ્ધ, નિરાશ્રિતો પોતાના માટે રહેવાની જગ્યા ન હોવાથી ફૂટપાથ ઉપર જ આભ નીચે રાત ગુજારતા આવ્યા છે.

New Update
નવસારી : નિરાશ્રિતોને આભ નીચે સૂવું નહિ પડે, 2.40 કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા

નવસારીમાં પણ અદ્યતન રેનબસેરા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અંદાજે રૂપિયા 2.40 કરોડની ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા રેનબસેરા બનાવવામાં આવી રહ્યું છે. નવસારી શહેરમાં આગામી સમયમાં કોઈ નિરાશ્રીતોને આભ નીચે રાત ગુજારવી પડશે નહિ. હિન્દૂ નવા વર્ષમાં શહેરમાં અદ્યતન રેનબસેરા અંદાજે 2.40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ આ નવીન રેનબસેરાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

નવસારી શહેરમાં પણ અનેક વૃદ્ધ, નિરાશ્રિતો પોતાના માટે રહેવાની જગ્યા ન હોવાથી ફૂટપાથ ઉપર જ આભ નીચે રાત ગુજારતા આવ્યા છે. આમાંના મહત્તમ નિરાશ્રિતની અત્યંત કરુણ કહાની છે. અનેક સંતાનવિહોણા છે તો કેટલાકના સંતાન હોવા છતાં તેમને સાથે રાખતા નથી. આવા નિરાશ્રિતોને રોટલો તો મળી રહે છે પણ ઓટલો મળતો નથી. આ સ્થિતિ માત્ર નવસારીમાં જ નથી પણ દેશના ઘણા વિસ્તારોમાં છે જેને લઈ આવા નિરાશ્રિત માટે રેનબસેરા બનાવવા સરકારને દિશાસૂચન આપ્યા છે.

જેને લઈને અહીં નવસારીમાં આભ નીચે રાત ગુજારતા લોકો માટે પણ રેનબસેરા બનાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ માટે સરકારે 2.40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજુર કરી છે. જેમાંથી હાલ કેટલાક સમયથી લક્ષ્મી ટોકીઝ સામેની પાલિકાની માઇનોર વિભાગની જગ્યા ઉપર રેનબસેરા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 3 થી 4 મહિનામાં આ રેનબસેરા બની પણ જવાની શક્યતા છે.