Connect Gujarat
ગુજરાત

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં PM મોદી અને મહંત સ્વામીએ આરતી ઉતારી , જુઓ હજારો દિવડાઓનો ઝગમગાટ

X

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી, એટલે કે તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી, એટલે કે તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યારબાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું, જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના સાથે આરતી પણ ઉતારી હતી.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યુ હતું કે, મારૂ સૌભાગ્ય છે કે, આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી, સહભાગી અને સત્સંગી બનવાનો મને મોકો મળ્યો છે. મેં જેટલો સમય અહીં વિતાવ્યો છે, તે દરમિયાન મને દિવ્યતાની અનુભૂતી થઈ છે. અહીં અબાલ વૃદ્ધ સૌ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવામાં આવી છે. ભારતના રંગ અહીં જોવા મળે છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે. દુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામીને શ્રદ્ધાજંલિ આપવા માટે આવશે. આ નગરમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળે છે. આપણા સંતોએ વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે. આ સાથે જ PM મોદીએ જણાવ્યુ હતું કે, બાળપણમાં જ્યારે દુરથી પ્રમુખસ્વામીના દર્શન કરતા ત્યારે સારૂ લાગતું હતું. કલ્પના પણ ન હતી કે, રૂબરૂ મળવાનું થશે. 1991માં પ્રથમ વખત મળવાનો અને સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં માત્ર સેવાની જ વાત કરી હતી. પ્રમુખસ્વામી વ્યક્તિની ક્ષમતા પ્રમાણે સત્સંગ પ્રવચન આપતા હતા. 2002માં જ્યારે હું પ્રથમ વખત ચૂંટણી લડ્યો હતો, ત્યારે મને ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખસ્વામીએ આપી હતી. ત્યારથી લઇ કાશીમાં ફોર્મ ભર્યું, ત્યારે પણ તેમણે મને પેન મોકલી હતી. છેલ્લા 40 વર્ષથી દર વર્ષે મને કૃર્તા પાયજામાનું કાપડ પ્રમુખસ્વામી મોકલતા હતા. આજે હું વડાપ્રધાન છું, તેમ છતાં કપડા મોકલવાની પરંપરા મહંતસ્વામીએ ચાલું રાખી છે. હું જ્યારે કચ્છના ભૂકંપ સમયે સેવા કરવા ગયો, ત્યારે મારા જમવાની ચિંતા પણ પ્રમુખસ્વામી મહારાજ કરતા હતા. 1992માં હું જ્યારે કાશ્મીરના લાલચોકમાં તિરંગો લહેરાવવા ગયો હતો, ત્યારે સૌથી પહેલા ફોન પ્રમુખ સ્વામીનો હતો કે, તમે કુશળ તો છોને..!

Next Story