જુનાગઢ : ઝાંઝરડા ગામે ટીપી સ્કીમ લાગુ કરાતા ખેડૂતોમાં રોષ, સ્કીમને રદ્દ કરવા ખેડૂતોની માંગ…
ટીપી હટાવો, ખેડૂત બચાવો”ના નારા સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
ઝાંઝરડા ગામે ટીપી સ્કીમ લાગુ કરતાં ખેડૂતોમાં રોષ
ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી યોજી નોંધાયો વિરોધ
ટીપી સ્કીમ રદ્દ કરવા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર
જુનાગઢ જિલ્લાના ઝાંઝરડા ગામે ટીપી સ્કીમ લાગુ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા “ટીપી હટાવો, ખેડૂત બચાવો”ના નારા સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જુનાગઢ ખાતે ટીપી સ્કીમની અમલવારી કરવામાં આવનાર છે, ત્યારે જુનાગઢ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ સામે ખેડૂતોએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
જુનાગઢના ઝાંઝરડા ગામે ટીપી સ્કીમ લાગુ કરાતા ખેડૂતોએ આ સ્કીમ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે. જે ગામમાં શિક્ષણ, પાણી અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી, ત્યાં ટીપી સ્કીમ લાગુ કરાતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ભારતીય કિસાન સંઘ દ્વારા “ટીપી હટાવો, ખેડૂત બચાવો”ના નારા સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આ સાથે જ વસ્તી વિહોણા ગામમાં ટીપી સ્કીમ લાગુ કરાતાં ખેડૂતો પાયમાલ થવાના આક્ષેપો ભારતીય કિસાન સંધ દ્વારા કરવામાં આવ્યા હતા. જો, ટીપી સ્કીમ રદ્દ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જન આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.