/connect-gujarat/media/post_banners/c3b2b61c27a1b485019881599bb8a7dbe6cc1b63514cc40537110ff26725e558.jpg)
સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વાતવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો પણ ઘઉં સહિતના તૈયાર પાકની કાપણી કરતા જોવા મળ્યા છે. તો કમોસમી વરસાદથી બચાવવા માટે ખેતરમાં ઘાસને પ્લાસ્ટિકના મેણીયા વડે ઢાંકેલું જોવા મળ્યું હતું, એક તરફ 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે, તો બીજી તરફ ખેતરમાં તૈયાર થયેલો ઉભો પાક, જેને લઈને હવે ખેડૂતે પણ પાકોને કાપણી કરી લેવાના શરૂ કરી દીધા છે. ક્યાંક ખેતરમાં ઘઉંના પાકની કાપણી કરી પૂડા બનાવી મુકેલા છે. તો ક્યાંક મજુરો કાપણી કરતા જોવા મળ્યા છે. તો આગાહીને લઈને ખેતરોમાં ઘાસને પ્લાસ્ટિકના મેણીયાથી ઢાંકેલું પણ જોવા મળ્યું છે. આમ હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદથી પાક બચાવવા માટે ખેડૂતોએ પ્રયત્નો હાથ ધર્યા છે.