શિક્ષણ રાજ્યમંત્રી કામરેજ વિધાનસભા વિસ્તારની મુલાકાતે
કામરેજ પ્રાંત કચેરીએ ઈમરજન્સી બેઠક યોજવામાં આવી
શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ-પૂરની પરિસ્થિતીની સમીક્ષા કરી
વરસાદી સ્થિતીનો તાગ મેળવી અધિકારીઓને કર્યું સૂચન
અસરગ્રસ્તો માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાય
રાજ્ય શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ વિધાનસભા સહિત શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ-પૂરથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. સુરતમાં ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને આજે મંત્રી પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને કામરેજ પ્રાંત કચેરી આવી પહોંચ્યા હતા. મંત્રીએ કામરેજ વિધાનસભા સહિત શહેર-જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ સાથે મંત્રીએ અસરગ્રસ્ત લોકો માટે રાહત બચાવ કામગીરી હાથ ધરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી.
તેમણે ફૂડ પેકેટસની વ્યવસ્થા સાથે બચાવ-રાહત કાર્યો માટે SRPની ટીમ પણ ફાળવવામાં આવી હોવાની વિગતો આપી કામરેજમાં વરસાદથી અતિપ્રભાવિત ગામોમાં રાહત કાર્યો વેગવાન બનાવવા જણાવ્યું હતું. સુરત જિલ્લાના તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો, અને વિવિધ વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. આ અસરગ્રસ્તોની મુલાકાત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી હતી, અને કામરેજ પ્રાંત ઓફિસ ખાતે અધિકારીઓની ઇમરજન્સી મિટિંગ કરી હતી. જેમાં અતિવૃષ્ટિ દરમિયાન એક ઈમરજન્સી નંબર જાહેર કર્યો હતો, અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા સૂચના આપી હતી. શિક્ષણ મંત્રી દ્વારા અસરગ્રસ્તો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યારે રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડબાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.