સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વઢવાણ-વિરમગામ હાઇવે પણ વિઠ્ઠલગઢ નજીક પેટ્રોલ પંપ પાસે બાઈક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ, અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, ડમ્પર ચાલકે બાઈક સવારોને અંદાજે 50 મીટરથી વધુ દૂર સુધી ઢસડતા ત્રણેય યુવકોના મોત થયા છે. આ તરફ, બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ સાથે જ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.