Connect Gujarat
ગુજરાત

અમરેલી : અગાઉના અનુભવ પ્રમાણે કોરોનાના JN1 વાયરસને પહોચી વળવા આરોગ્ય તંત્ર થયું સજ્જ…

10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, અને જરૂર પડશે તો વધુ 300 બેડ સુધીની તૈયારી કરી શકાશે

X

ભારતમાં કોરોના સંક્રમણના JN1 વાયરસને લઈને સરકાર સતર્ક

વહીવટી તંત્ર અને શાંતાબા જનરલ હોસ્પિટલના તબીબો સજ્જ

JN1 વાયરસ સંક્રમણને પહોચી વળવા તૈયારીઓને ઓપ અપાયો

હોસ્પિટલમાં 10 ICU અને 30 બેડના વોર્ડની વ્યવસ્થા ઉભી કરાય

અગાઉના અનુભવને ધ્યાનમાં રાખી ઓક્સિજનની પૂરતી સુવિધા

ભારતમાં કોરોના સંક્રમણના JN1 વાયરસને લઈને સરકાર સતર્ક થઈ છે, ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને શાંતાબા જનરલ હોસ્પિટલના તબીબોએ સજ્જ થઈ આ સંક્રમણને પહોચી વળવા તૈયારીઓ કરી દીધી છે. ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાના JN1 વાયરસે ફરી વેગ પકડ્યો છે, ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

જેમા 10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, અને જરૂર પડશે તો વધુ 300 બેડ સુધીની તૈયારી કરી શકાશે, ત્યારે અગાઉના અનુભવ પ્રમાણે ઓક્સિજનની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 2 RTPCR મશીનો દ્વારા રોજના 2 હજાર ટેસ્ટ કરી શકવાની પૂર્વ તૈયારી કરવામાં આવી છે.

શાંતાબા જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એમ.જીતિયાએ જણાવ્યું હતું કે, અગાઉ જે પ્રકારે કોરોના એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ફરી કોરોના જેવા JN1વાયરસની દસ્તકથી રાજ્યભરમાં આરોગ્ય તંત્ર સાબદુ થયું છે. જેને લઇ અમરેલી જીલામાં પણ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મીટીંગોનો દોર શરૂ કરાયો છે. પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મોકડ્રીલ પણ કરવામાં આવી હતી. હાલ અમરેલી જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસની જાણકારી નથી. પરંતુ સંભવિત દસ્તકને લઈ અમરેલીમાં પૂરતી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.

Next Story