હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું (rain)જોર ઓછું થઇ શકે છે. હાલ બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. જો કે ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.
ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા સરદાર સરોવર ડેમના પાંચ પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છે. પાંચ દરવાજા ખોલી નર્મદા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો કે આજે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 134.45 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં બે લાખ 66 હજાર 120 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 82 ટકા ભરાયો છે.