Connect Gujarat
ગુજરાત

સમગ્ર ગુજરાતમાંથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને મળી રહ્યો છે વ્યાપક જન-પ્રતિસાદ...

આ રથ પાટણ, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, અમદાવાદ અને નર્મદા જીલ્લામાં આવી પહોચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

X

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક જન-પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે આ રથ પાટણ, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, અમદાવાદ અને નર્મદા જીલ્લામાં આવી પહોચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેન્દ્રાણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉજવલા યોજના, આયુષમાન ભારત સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરવામાં આવી હતી.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સાલપીપળીયા ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પયાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ વેળા ઉપસ્થિત ગ્રામજનોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પી.એમ. ઉજજવલા, વિધવા સહાય, સોઈલ હેલ્થ કાર્ડ સહિત અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલું ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં સૌને યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ 31 જેટલા લાભાર્થીઓને રાશનકાર્ડ, PMJAY સહિતની યોજનાઓના લાભ અને સાધન સહાય વિતરીત કર્યા હતા.

વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ડાંડેરી ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગામ લોકોએ રથના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ઉજજવલા, વિધવા સહાય, સોઈલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ કાર્યક્રમ સ્થળે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી.

અમદાવાદના ખરેડ ગામે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળા ગ્રામજનો દ્વારા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ'નું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનુ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ મળી રહે તે માટે ગામડે ગામડે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" રથ પરિભ્રમણ કરી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય હતી. જેમાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવોએ સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવી લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ વિતરણ કર્યા હતા.

Next Story