/connect-gujarat/media/post_banners/3610a420ba1a468e32e65274da40671a940b7302ad0660c91ac037691191b836.webp)
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસ ગુજરાત આવી રહ્યા છે. તેઓ આગામી 19થી 22 ઓક્ટોબર સુધી કેવડિયા ખાતે યોજાવા જઈ રહેલી ભારતીય રાજદૂતોની કોન્ફરન્સ માં ભાગ લેશે. આ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર પણ હાજર રહેશે. આ કોન્ફરન્સમાં 120 દેશના રાજદૂત પણ ભાગ લેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે ભારતીય રાજદૂતોની કોન્ફરન્સ માં સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પર્યાવરણને લગતા એક મહત્વના પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. આ કાર્યક્રમમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ પ્રોગ્રામ નું લોન્ચિંગ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોદી કોઈ વિશેષ સંદેશ આપી શકે છે. કારણ કે આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી ભારત મુલાકાત દરમિયાન કેટલાક ફિલ્ડ પ્રોજેક્ટ કે જે પર્યાવરણ સમસ્યા અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે જે પ્રશ્નો વિશ્વભરમાં ઉભા થયા છે. તેના ઉકેલ માટે ભારતમાં ચાલી રહેલા આયોજનની પણ મુલાકાત લેશે. વિશ્વના રાજદૂતોની સાથે વર્ષમાં એક વખત કોન્ફરન્સ કરીને વિદેશ નીતિ નક્કી કરવામાં આવે છે. જેમાં વિદેશ મંત્રી વિવિધ દેશોમાં કામ કરતા ભારતીય રાજદૂતોની સાથે બેઠક કરે છે. આ બેઠકમાં વિવિધ સમસ્યાના ઉકેલની ચર્ચા કરવામાં આવે છે. આ કોન્ફરન્સ હેડ ઓફ ધ મિશન કોન્ફરન્સના નામે ઓળખાય છે. આગામી 19 ઓક્ટોબરથી આ કોન્ફરન્સ કેવડિયા ખાતે યોજાવા જઈ રહી છે. જેને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.