વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં માર્ગ પર ઠેર ઠેર ખાડારાજના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બિસ્માર રોડ-રસ્તાને લઈને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓનું રાજ છે, જે અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં બિસ્માર રોડનું સમારકામ કરવામાં આવતું નથી. સ્થાનિક નગરસેવક સહિત મનપા કમિશનરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ જાણે આ વિસ્તારમાં વિકાસ કાર્ય તરફ કોઈ ધ્યાન આપતું નથી. જેથી સમગ્ર વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે તાંદળજા વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તાના મુદ્દે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ માર્ગ પર પડેલા ખાડામાં રોપાઓનું વાવેતર કર્યું હતું. સ્થાનિકોનું માનવું છે કે, માર્ગ પર પડેલા ખાડાનું જ્યારે તંત્ર દ્વારા સમારકામ નથી કરવામાં આવતું, તો આ ખાડાઓનો સદુપયોગ કરી તેમાં વૃક્ષારોપણ થકી અનોખી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું.