ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આવ્યા વલસાડની મુલાકાતે
શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી
વલસાડ-ડાંગ બેઠક પર કોંગ્રેસની હાર અંગે ચર્ચાઓ કરી
રાજકોટના અગ્નિકાંડ મામલે સરકાર પર કર્યા આકરા પ્રહાર
મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસના એક અગ્રણીના ત્યાં અશુભ પ્રસંગમાં હાજરી આપી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રદર્શન અને હારના કારણો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
શક્તિસિંહ ગોહિલે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત આજે રાજકોટ બંધને મળેલા પ્રતિસાદ મામલે પણ શક્તિસિંહ ગોહિલે લોકોનો આભાર માન્યો હતો. વધુમાં ભાજપના ધારાસભ્યો દ્વારા જ અધિકારીઓ તેમનું સાંભળતા નથી, તેવી ઠલવાઈ રહેલી હૈયા વરાળ અંગે શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી ભાજપની સરકારના રાજમાં નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર કરતા અને ભાજપ માટે રૂપિયા ભેગા કરતા ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. વધુ માં તેઓએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં અધિકારીઓએ ધારાસભ્યો કે, જન પ્રતિનિધિઓનું સાંભળવું જ પડે છે.