વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા
થરાદમાં પોલીસના પટ્ટા ઉતારી લેવાની કરી હતી વાત
સ્વાભિમાન ઘવાતા પોલીસ પરિવારોનું વિરોધ પ્રદર્શન
હજારો પોલીસ પરિવાર જાહેર માર્ગ પર ઉતરી આવ્યા
જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ થરાદમાં પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરાતા પોલીસ પરિવારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હજારો પોલીસ પરિવારજનોએ જાહેર માર્ગ પર ઉતરી આવી મેવાણી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદમાં આવેલા શિવનગરના સ્થાનિકો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સ્થાનિકો અને પોલીસની હાજરીમાં પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ તે પ્રકારનો વાણી વિલાસ કર્યો હતો.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈને પોલીસ પરિવારો આક્રોશિત બની જાહેર માર્ગ પર ધરણાં પ્રદર્શન બાદ રેલી યોજી જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા બનાસકાંઠામાં પોલીસના પટ્ટા ઉતારી લઈશ જેવી ભાષા ઉચ્ચારવામાં આવતા પોલીસ પરિવારે અપમાનજનક ગણાવી એનાથી પોલીસનું સ્વાભિમાન ઘવાયું છે, હોવાનું જણાવ્યુ હતું.
વધુમાં પોલીસ પરિવારના સભ્યોએ જણાવ્યુ હતું કે, પોલીસ 24 કલાક ફરજ બજાવે છે. પરિવારની સલામતી માટે જીવ જોખમમાં મૂકે છે. આવું અપમાનજનક નિવેદન એક ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા અપાય તે સ્વીકાર્ય નથી. આવો વાણી વિલાસ ધારાસભ્ય તરીકે કરવો તે યોગ્ય નથી, આ પ્રકારના નિવેદનથી પોલીસનું અભિમાન ઘવાય છે. આ સાથે જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી જાહેરમાં માફી માંગે તેવી પોલીસ પરિવારોની માંગ છે. પોલીસ પરિવારો સૂત્રોચાર સાથે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા, જ્યાં આવેદન પત્ર આપી જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.