દિગ્ગજ કોંગ્રેસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા, કોંગ્રેસના શાસનમાં રહી ચુક્યા છે રેલ રાજ્યમંત્રી
દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે.
છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે. હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાયા છે.ભાજપના ભવ્ય ભરતી મેળામાં આજે ગાંધીનગર કમલમ ખાતે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યું છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એકસાથે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી, મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર.