ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામમાં જર્જરિત પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉતારી લઈ નવું દવાખાનું ફાળવવા ગ્રામજનોએ માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા 12 વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે, અને આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી પણ આવેલું છે, જ્યાં નાના બાળકો રમતા હોય છે.
ભવિષ્યમાં મકાનની દિવાલ ધરાશાયી થાય તો મોટી જાનહાની થવાની સંભાવના વર્તાય રહી છે, જેથી જર્જરિત આરોગ્ય કેન્દ્રને વહેલી તકે ઉતારી લઈ નવું દવાખાનું બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે. ગામમાં એક જ દવાખાનું હોવાથી સગર્ભા મહિલાઓ તેમજ ગરીબ વર્ગના દર્દીઓને ઝઘડિયા અથવા અવિધા દવાખાને જવું પડે છે. કોઈ દર્દીને તત્કાલ સારવારની જરૂર જણાય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.