છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે થતો ટ્રાફિક જામ
ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીમાં ટ્રાફિક જામ
ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો
ઉમા ભવન ફાટક નજીક ભરાતું પાણી ટ્રાફિક જામનું કારણ
તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી છેલ્લા 3-4 દિવસથી ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર GIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
જેથી હવે અહીનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો થયો છે. તેવામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. જેના કારણે કામ-ધંધે જતાં હજારો લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આમ તો અવારનવાર થતાં ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામ મોખરે છે. પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી થતાં ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કઈક અલગ જ છે. મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ભવન રેલ્વે ફાટક પાસે ભરાતું વરસાદી પાણી ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ સાબિત થયું છે.
કારણ કે, અહી પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. માર્ગ પર ખાડા પણ પડી ગયા હોવાથી અનેક વાહનો ભટકાય છે. ઉપરાંત રેલ્વે કન્ટેનર યાર્ડમાં આવતા-જતાં કન્ટેનર સહિતના મોટા વાહનોના પગલે અહી ટ્રાફિક જામ થવું સામાન્ય બન્યું છે.
તો બીજી તરફ, ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ જવાનો અને BTETના માર્શલો ખડેપગે તૈનાત રહી ફરજ બજાવે છે. જોકે, હવે અહી ભરાતા વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય રીતે નિકાલ કરી લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.