એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે અયોધ્યામાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની કરી અટકાયત
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે યુપી એટીએસ એલર્ટ મોડ પર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા ગુરુવારે ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે અયોધ્યામાંથી ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી. ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે અયોધ્યા જિલ્લામાં ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી.
ડીજીપી કુમારે એમ પણ કહ્યું કે આ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે "રાજ્ય સરકાર અને પોલીસ હેડક્વાર્ટરની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાનના ભાગ રૂપે યુપી-એટીએસ દ્વારા અયોધ્યા જિલ્લામાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠન સાથે તેમની સંડોવણીની જાણકારી મળી નથી.
ઉત્તર પ્રદેશ સરકારે ડ્રોન દ્વારા દેખરેખ વધારીને શહેરમાં સુરક્ષા સઘન બનાવી છે. રાજ્ય સરકારે સમગ્ર શહેરમાં પ્રવૃતિઓ પર નજર રાખવા માટે નાઈટ વિઝન ડિવાઈસ (NVD) અને CCTV કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.