ભરૂચ : યુનિફોર્મ સિવિલ કોડ સામે ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાનો વિરોધ, નેત્રંગ મામલતદાર કચેરીએ આપ્યું આવેદન...
ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા વિરોધ નોંધાવાયો
યુનિફોર્મ સિવિલ કોડને લાગુ નહીં કરવા ઉગ્ર માંગ કરી
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું
ભારત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ સામે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાએ વિરોધ નોંધાવી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, ભારતના કાયદા પંચ દ્વારા દેશમાં સમાન નાગરિક સંહિતાના સંબંધો પબ્લિક નોટિસ જાહેર કરી સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવાના સમર્થનમાં અને વિરોધમાં તા. ૧૪ જુલાઈ ૨૦૨૩ સુધીમાં અભિપ્રાય રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ સમગ્ર દેશ માટે એક કાયદો પ્રદાન કરશે, જે તમામ ધાર્મિક સમુદાયને અસર કરશે. ભારતીય બંધારણના ભાગ-૪ના અનુચ્છેદ ૪૪ અંતર્ગત રાજ્યને કાયદો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ભારત દેશમાં વિવિધતામાં એકતા એ વિશેષતાઓમાંથી એક છે. ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે. અહીં અલગ અલગ સમુદાયો જેમકે ઇસાઈ, યહુદી, મુસ્લિમ, હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ અને આદિવાસી સહિત અનેક સમાજના લોકો વસે છે, અને તમામના અલગ અલગ વ્યક્તિગત કાયદાઓ પણ છે. દેશના ૭૦૫ આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસુચિત જનજાતિના રૂપમાં સુચિબદ્ધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમુદાય લગ્ન, તલાક, ઉત્તરાધિકારી, વારસાઇ, દત્તકની બાબતમાં રુઢિગત વિધીથી સંચાલિત થાય છે. આદિવાસી સમાજ જન્મથી મૃત્યુ સુધીના રીત રિવાજ હિંદુ અને ભારત દેશની અન્ય જાતિઓ અને સમુદાયો કરતા અલગ છે. હિંદુ કાયદાઓ પણ આદિવાસીઓ પર લાગુ નથી થતા. કારણ કે, એમના રૂઢિગત કાયદાઓ છે, જે બંધારણ અંતર્ગત સંરક્ષિત છે. સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે. જેના કારણે આદિવાસી વસ્તી પર નિમ્નવિખિત અસરો થશે. દેશના દરેક રાજ્યોમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદા બન્યા છે. જોકે, સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી તે તમામ કાયદા સમાપ્ત થઈ જશે. આથી આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી સીધી અસર થશે. તેથી આ કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં ન આવે તેવી આદિવાસી સમાજની માંગણી છે.