બોલીવુડના પીઢ અભિનેતાની ચીર વિદાય
ધર્મેન્દ્ર પંચતત્વમાં થયા વિલીન
ફિલ્મજગતની હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું
બોલીવુડમાં છવાયો શોકનો માહોલ
પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યું દુઃખ
બોલીવુડના હિ-મેન તરીકેનું ઉપનામ મેળવનાર અને પ્રસિદ્ધ સુપરસ્ટાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું,જેના કારણે ફિલ્મજગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી,આ દુઃખની ઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ હિ-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. જોકે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી છે.તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી હતી.જોકે અગસ્ત્ય નંદાની આવનાર ફિલ્મ ઈક્કીસમાં ધર્મેન્દ્ર જોવા મળશે,જે 25 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
બોલિવૂડમાં વીરુ, હીમેન, ધરમ પાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા હતા. અમિતાભ,અક્ષય કુમાર સહિતની બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાયા હતા.તેમની પત્ની હેમા માલિની સહિતનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.