ખેડૂતો આજથી ફરી દિલ્હી જવા રવાના, પંજાબના DGPએ આપ્યા રોકવાના આદેશ
ખેડૂતોએ 21મી ફેબ્રુઆરીએ દિલ્હી જવા માટે શંભુ બોર્ડર પર તૈયારીઓ કરી લીધી છે. મંગળવારે પંજાબના યુવા ખેડૂતો જેસીબી અને પોકલેન મશીન સાથે પહોંચ્યા છે. આ મશીનોને ટ્રેક્ટર માર્ચની સાથે લાવવામાં આવ્યા હતા, જેથી રસ્તામાં કોઈ તેમને રોકી ન શકે.
જ્યારે હરિયાણાના ડીજીપીએ પંજાબના ડીજીપીને પત્ર લખ્યા બાદ પંજાબના ડીજીપીએ ખાનૌરી અને શંભુમાં પંજાબ-હરિયાણા બોર્ડર તરફ જેસીબી, પોકલેન, ટીપર, હાઇડ્રા અને અન્ય હેવી અર્થ મૂવિંગ સાધનોની અવરજવરને રોકવાનો આદેશ આપ્યો છે.
ડીજીપી પંજાબની સૂચના પર શંભુ પોલીસ સ્ટેશનના એસએચઓ અને અન્ય એક અધિકારી ખેડૂતોને શંભુ બોર્ડર તરફ ભારે વાહનો અને જેસીબી લઈ જતા અટકાવતા ઘાયલ થયા હતા. પટિયાલા શંભુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અમન પાલ સિંહ વિર્ક અને મોહાલીના એસપી જગવિંદર સિંહ ચીમા ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ શંભુ બોર્ડરથી લગભગ 5 કિલોમીટર પહેલા નાકાબંધી કરી દીધી હતી જ્યાં આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અમનપાલ સિંહ વિર્કને ઘૂંટણમાં ઈજા થઈ છે.